Skip to content

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

શ્રીમાળ! નામ એટલું સુંદર ને ભાવભર્યું છે! શ્રી એટલે લક્ષ્મી, સૌંદર્ય! સૌંદર્ય અને પ્રકાશ! ત્યાં મલિનતા ને સ્થાન નથી.

આપણું મૂળ સ્થાન શ્રીમાળનગર હતું. જે, તે જમાનામાં અત્યારના મુંબઈ જેવું સમૃદ્ધિવાન શહેર હતું. નગરજનો સુખી, સંપત્તિવાન સંસ્કારી હતા. કાળે કરી આ શ્રીમાળનગર છિન્નભિન્ન થતા આપણે સૌ વિખરાઈ ગયા.

સોની સોનાની સેવા કરે છે. મલિનતા ને દૂર કરી, રસને આકાર આપી આ કળાનું અજવાળું પ્રગટાવે છે. આવા કળા ભક્ત, પ્રકાશ ભક્ત સોનીનું મૂળ સ્થાન શ્રીમાળ કેટલું વાસ્તવીક છે

શ્રીમાળ સાતમીથી બારમી સદી માં ભાંગ્યું ત્યારે શ્રીમાળી સોની શાંતિ, રાજ્યવ્યવસ્થા અને આજીવિકા માટે વિવિધ સમૃદ્ધ સ્થળે ગયા. જયારે સુરત શહેરની સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી ત્યારે અમદાવાદ માં વ્યવસાય કરતો આપણો સમાજ સુરત મા આવ્યો જે આજે અમદાવાદી શ્રીમાળી સોની તરીકે ઓળખાય છે.

સૌજન્ય : શ્રીમાળી સોની નો ઇતિહાસ
લેખક : જમનાદાસ નકાભાઈ જડીયા

શ્રીમાળ એટલે આજનું ભીનમાળ. પ્રાચિન સમયમાં આજનું આ ભિન્નમાળ એક સુશોભિત રાજનગર હતું. ગગનચુંબી મહાલયોથી અને શહરેની ગીચ વસ્તીથી તે સારા હિન્દુસ્તાનમાં વિદેશીય પ્રજાની દૃષ્ટિ આકર્ષી રહયું હતું તથા વ્યાપાર રોજગારમાં પણ પ્રાધાન્યપદ ધરાવતું હતું.

લગભગ ગુજરાત અને મારવાડના મધ્યસ્થ ભાગના સીમાડા ઉપર આવેલું હોવાથી ત્યાં ધીકતો ધંધો ચાલતો હતો. તે જમાનામાં અત્યારના અમદાવાદ, મુંબઈ જેવું જાહોજલાલીથી સમૃધ્ધવાન નગર હતું. નગરજનો સુખી, સંપતિવાન અને સંસ્કારી હતા. વળી નિર્મળ જળથી ભરેલા સરોવરો અને પવિત્ર તિર્થોનું તે ધામ ગણાતું હતું. બ્રાહ્મણ, વણિક જેવી આચાર-વિચાર અને ધર્મ પરાયણ પ્રજા ત્યાં મોટા પ્રમાણમાં વસતી હતી. કાળના પરિબળે એ જગમશહુર જાહોજલીલાવાળું ભિન્નમાળ (શ્રીમાળ) આજે નિર્જીવ અને નિર્જન બન્યું છે. આવા સમૃધ્ધ શ્રીમાળનગરમાં આપણો સોની સમાજ વસતો હતો. બારમી સદી પહેલા શ્રીમાળીની જાહોજલાલી ઓછી થવા લાગી ત્યારે બીજા સમાજની સાથે, વૈશ્યો, શ્રીમાળી સોની, શ્રીમાળી બ્રાહ્મણો વગેરે સાથે નીકળી પડ્યા. જ્યાં શાંતિ, રાજ્ય વ્યવસ્થા અને આજીવિકા માટે યોગ્ય સ્થળો લાગ્યા ત્યાં તેઓ પોતાનો વસવાટ કરવા લાગ્યા. આ રીતે શ્રીમાળનગરમાંથી પ્રયાણ થયેલા શ્રીમાળી સોની અમદાવાદમાં આવ્યા અને વસવાટ કર્યો. સને ૧૬૬૦ પછી સૂરત શહેરની વધતી જતી જાહોજલાલી તેમજ સબળ કિલ્લાથી સુરક્ષીત શહેરથી આકર્ષાય સૂરતમાં આવ્યા તેઓ અમદાવાદી સોની તરીકે ઓળખાય છે.

લગભગ ૪૦ થી ૫૦ વર્ષે પહેલાં આપણી જ્ઞાતિની બહુજન વસ્તી અંબાજી રોડ, આમલીરાન, વાડીફળિયા, સોની ફળિયાની અંદર જ વસવાટ કરતી હતી. આ આખો સમાજ ઉચ્ચી જ્ઞાતિના સમૂહનો બનેલો હતો. આપણા સિવાય મુખ્યત્વે વડનગરા નાગર બ્રાહ્મણ, કાયસ્થ, દશાલાડ વણિક અને બ્રહ્મ ક્ષત્રિય. ઓસવાલ જૈન, જેવી ઉચ્ચ કોમનો વસવાટ હતો. આ વિસ્તારની ઉચ્ચ શિક્ષીત વિસ્તાર તરીકે ગણત્રી થતી હતી. સુધરાઈની ચૂંટણીમાં આ વિસ્તાર માટે મતદાન કાયમ અકળ ગણાતું હતું. આ વિસ્તારમાં વસતા લોકો સંપૂર્ણ શાકાહારી હોઈ અહીં મુસલિમ, ઘાંચી કે ખત્રી કે રાણા લોકોના ઘરનું અસ્તિત્વ ન હતું. આ વિસ્તારનું શહરેના બધા વિભાગ કરતાં સપાટી લેવલ ઉંચુ હોવાથી રેલના પાણી હજુ સુધી અંબાજી રોડ, વાડીફળિયામાં આવ્યાં નથી. સૂરતમાં સને ૧૮૩૪માં લાગેલી વિનાશક આગમાં આ વિસ્તારને કશું નુકશાન થયું ન હતું. આ વિસ્તારમાં અંબાજી માતાજીનું મંદિર, રામજી મંદિર, રણછોડરાયજી – બાલાજીના મંદિરોનો સમુહ ઉપરાંત નજીકમાં વૈષ્ણવમાર્ગ ગોસ્વામી બાળકોની હવેલી આવેલી છે. લોકોના મકાનો ખુદની માલિકીના હતા. ભાડૂત તરીકે વસવાટ લગભગ નહીવત હતો.

આપણો ધર્મ મુખ્યત્વે વૈષ્ણ ધર્મ હતો. આપણા અહીં વસવાટ સમયે જ ચૌટા બજારના મોટા મંદિરની સ્થાપના થઈ હતી. આ મંદિર તેમજ છીપવાડમાં ગોવિંદલાલજી મંદિરનો ઉદ્ભવ થયો હતો. અને પાંચસો વર્ષ પહેલાં આચાર્ય મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટેની સેવા-પ્રણાલિકા તેમજ વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરી ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પુષ્ટિય માર્ગીય વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો અને આ કારણે આપણા શ્રીમાળી સોનીના મોટે ભાગે દરેક ઘરમાં લાલજીની સેવા પધરાવવામાં આવી છે અને આ સેવા પ્રકાર આજે પણ ચાલુ છે. ઉપર જણાવ્યાં પ્રમાણેના પણ મંદિરો અસ્તિત્વમાં હોવાથી આપણો સમાજ સવારે મોટા મંદિરે ત્યા રામજી-રણછોડજીનાં મંદિરે જતો અને રાત્રે અંબાજી રોડ પરના અંબાજી મંદિરમાં પણ જતો. પણ બાલા ગામ આજે મુખ્યત્વે વૈષ્ણવ ધર્મને અનુસરે છે. આપણો સમાજ કળા કારીગરીમાં હોંશિયાર હતો. હુન્નરનો જાણકાર હતો. સમય જતાં સમાજને હુન્નર અને કારીગરી સાથે સંગઠનની જરૂરીયાત સમજાઈ અને પ્રથમ પંચ ત્યારબાદ શ્રી અમદાવાદી શ્રીમાળી સુવર્ણકાર જ્ઞાતિ યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. જેના દ્વારા શિક્ષણ અને સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેની વિગત અન્યત્ર અલગ પ્રસ્તુત કરવામાં આવી છે.

સોની, સુવર્ણકારનો ધંધો અન્ય સુખી સમાજ પર આધારિત છે એટલે સુખી સમાજમાં રહેતો સોની સુખી હોય છે. આપણા સમાજની ધંધો વ્યવસ્થિત રીતે ચાલતો હતો. સમાજની જોઈતી જરૂરીયાત સોની કામમાંથી મળી રહેતી એટલે આપણા સમાજના બાળકો ૧૦ થી ૧૨ વર્ષના થતાં ઘરમાં ચાલતા સોની કામમાં વડિલો સાથે મદદ કરવામાં લાગી જતા. અને ધીરે ધીરે વડિલોની સમજાવટ, પોતાની સુઝ અને ધગશથી કારીગરી કામમાં માહેર થઈ જતાં. આ કારણે સમાજમાં શિક્ષિત વર્ગ ઓછો હતો. કારીગરી વર્ગ વાંચવા, લખવા જેટલું સામાન્ય જ્ઞાન તેઓ લેતા હતા. સામાન્ય રીતે સુવર્ણકાર સોનુ, ચાંદી ઘડવાનો ધંધો કરતા એટલે રોટલે સુખી હતા. જીવનધોરણ પણ ઘણાં અંશે નીચુ સસ્તુ અને સહેલું હતું. સુવર્ણ ઉધોગ કરનારને ઠીક આમદાની થતી હતી. જેથી આપણે ધંધો કરવામાં જ રૂઢ થઈ ગયા હતા. સમાજની પલટાતી, બઢતી ગતિને પારખવાની આપણા સમાજને પડી ન હતી.

સને ૧૯૬૩ના ઓગસ્ટ માસમાં તે સમયના ભારતના નાણાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ ગોલ્ડ કન્ટ્રોલ એકટ લાગુ કર્યો. આ કાયદા પ્રમાણે સોનીકામ કરનાર કારીગર વર્ગને સોનાની લેવડ-દેવડનો, નક્કી કરેલ નોંધપત્રકમાં હિસાબ રાખવાની ફરજ પાડવામાં આવી. સોનીકામ માટે લાયસન્સ, ઓળખપત્ર લેવાની જરૂરિયાત ઊભી થઈ. જ્ઞાતિબંધુઓને શિક્ષણની જરૂરિયાતની મહત્તા સમજાઈ, ત્યારપછી સમાજના બાળકો અને વડિલ શિક્ષણ માટે જાગૃત થયા અને તેના પરિણામ સ્વરૂપ બાળકો વધુ અભ્યાસ કરવા લાગ્યા. તેંના પરિણામ સ્વરૂપ અન્ય વ્યવસાય તરફ તેઓ દોરાયા અને સમાજમાં ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકિલ, શિક્ષક અને હીરાના વ્યવસાયમાં જોડાયા. જેના પરિણામ સ્વરૂપ આજે આપણા શ્રીમાળી અમદાવાદી સોની સમાજમાં અંદાજે ૧૦ ડોકટર, ૬ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૪ વકિલ, તેમજ ૫ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનું જ્ઞાન ધરાવે છે.

વ્યક્તિ અને સમાજનો ઉત્કર્ષ એક જ સ્થાને બેસી રહેવાથી થતો નથી. બેઠેલાઓનું પ્રારબ્ધ પણ બેઠું રહે છે. ઉભેલાનું ઉભું અને સૂતેલાનું સૂતુ રહે છે અને જે ચાલે છે તેનું પ્રારબ્ધ પણ ચાલતું રહે છે. તે હિસાબે સમાજ સતત ચાલ્યા કરે છે, પ્રયત્નશીલ રહે છે તેને પ્રારબ્ધ ફલિત થાય છે. (ઐતરેય બ્રાહ્મણ)
સૂરતમાં વસતાં આપણા સમાજ કેટલાક સાહસીક અને દૂરદર્શી બુદ્ધિ પ્રભા ધરાવતા જ્ઞાતિ બંધુઓએ વધુ કમાવવા માટે ધંધાની પ્રગતિ માટે, નવા ગ્રાહકવર્ગની શોધમાં આધુનિક શહેર તરીકે વિકસી રહેલા મુંબઈ શહેર તરફ પોતાની નજર દોડાવી. સન ૧૯૪૦માં શ્રી રતનલાલ ગુલાબદાસ પચ્ચીગર ધંધાર્થે મુંબઈ સ્થાયી થયા. કેટલાક જ્ઞાતિબંધુઓ સૂરતમાં જ રહી ધંધાર્થે ગ્રાહકને મળવા મુંબઈ આવ-જા કરવા લાગ્યા. તેમાંથી ઘણા સમય જતાં મુંબઈમાં સ્થાયી થવા લાગ્યા. મુંબઈમાં રહેતા દરેક જ્ઞાતિબંધુ સૂરતથી મુંબઈ આવનાર નવા જ્ઞાતિબંધુઓને બનતી સહાય સલાહ સૂચનો આપતા રહેતા હતા. આના પરિણામે અત્યારે મુંબઈમાં આપણી જ્ઞાતિના અંદાજીત ૪૦ ઘરો વસે છે.

મુંબઈમાં વસતા સમાજના જ્ઞાતિભાઈઓએ ધીરે ધીરે પોતાની જાતે કામ કરવાનું છોડી પોતાની આગવી સુઝ, આવડતથી બંગાળથી આવી મુંબઈમાં વસતા બંગાળી કારીગરો પાસે કામ કરાવવાની શરૂઆત કરી. આમ કારીગર વર્ગમાંથી વેપારી બન્યા.

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની સમાજ  સુરતની સ્થાપના ની ચર્ચા થાય ત્યારે સહુપ્રથમ આપણા વડીલો દ્વારા સ્થપાયેલ પરંપરાઓ તેમના દ્વારા સમાજને અપાયેલી અમૂલ્ય સેવાઓ તથા તેમના સાનિધ્યનો વીતેલો સમય આ બધાની યાદી આપણે તેના સંભારણા સાથે આજે કરીએ

શ્રી અમદાવાદ શ્રીમાળી સોની પંચ તરીકે આપણા સમાજની સ્થાપના સને ૧૯૫૦ ના અરસામાં થઈ. આ સમાજ પંચ તેના ઘડેલા નિયમો અનુસાર વહીવટ ખૂબ જ સુંદર રીતે ચલાવતી હતી પણ એનું વ્યવસ્થિત બંધારણ હતું નહીં તેથી એક વ્યવસ્થિત બંધારણ ઘડવા માટે ત્યારે આ સમાજના ચાર અગ્રણીઓની એક બંધારણ સમિતિની રચના થઈ તેમને ખૂબ જ અભ્યાસ અને મહેનતથી એક બંધારણ બનાવી તારીખ ૦૪/૦૬/૧૯૭૭ ના રોજ મળેલી જ્ઞાતિ સામાન્ય સભાઓ સદર બંધારણ સર્વાનુમતે પસાર કરેલું અને તે મેયર ચેરિટી કમિશનર સાહેબની મંજૂરી માટે મોકલી આપેલ અને તે બંધારણ નામદાર સંયુક્ત ચેરિટી કમિશનર, વડોદરાએ તારીખ ૨૭/૦૩/૧૯૮૦ ના રોજ મંજૂર કરેલ અને આ રીતે કાયદાકીય રીતે આપણા શ્રી અમદાવાદી શ્રીમાળી સોની સમાજ સુરત અસ્તિત્વમાં આવ્યો.

ભૂતકાળના પ્રમુખો